કોઈ અદીઠ ભણી વણથંભ્યા વાયરે
જિન્દગીનો જાય છે તરાપો.
લાખ વાર તરતા રહેવાની તાકાત ભલે
એક વાર ડૂબવાનું સાચું.
મોજાંની સોડ મારી ક્યાં રે ન જાણું
હું તો મોજાંએ મોજાંએ નાચું;
દરિયો તો બદલે મિજાજ એમાં બદલાતો
ખારવાનો ખોટો બળાપો.
આઘી આઘી કળાય આથમણી કોર એને
પાસે ને પાસે પિછાણી,
પાણી પર ઝલમલતાં કિરણો, ને કિરણોમાં
ઊંડાપતાળ જોઉં પાણી;
જળની આ ચાદરમાં પોઢું, તો પ્રાણ, મને
આખું આકાશ વણી આપો !
-મકરંદ દવે
સિદ્ધહસ્ત કલમે કેવું રમ્ય ચિત્રણ કર્યું છે !!! શબ્દસૌંદર્ય એવું મનોરમ છે કે અર્થગાંભીર્યને જરાપણ હાવી થવા દેતું નથી……
No comments:
Post a Comment