ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Thursday, April 9, 2015

વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ........

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

————————————

જ્યારે અનિવાર્ય સંજોગોમાં એમણે પોતાનું વતન અમદાવાદ છોડવું પડેલું ત્યારે એ સાબરમતીની હવાને શ્વાસોમાં ભરતાં ભરતાં એમના હૃદયમાંથી ઉઠેલી એક તીવ્ર ચીસ, એટલે આ ’મળે ન મળે’ ગઝલ!! જે આજે તો એમનાં નામનો પર્યાયસમી બની ગઇ છે. જ્યારે આ ગઝલને કોઇ પણ વાંચે છે ત્યારે એમની વેદના આ ગઝલમાં અચૂક અનુભવાય છે. બર્મિંગહામનાં એક મુશાયરામાં જ્યારે એમણે ‘મળે ન મળે’ ગઝલ રજૂ કરેલી ત્યારે કાર્યક્રમને અંતે એક બહેને આવીને એમને કહેલું, ‘આદિલભાઇ, આ કાવ્ય સાંભળીને હું રડી પડી.’ ત્યારે અત્યંત સાહજિકતાથી એમણે કહેલું કે ‘બહેન, મેં એ રડતા રડતા જ લખેલું!’

( આભાર : ઊર્મિસાગર )

No comments:

Post a Comment