વાત સાચી હોય તો કહી દો, ના રહો ભારમાં,
સાંભળ્યું છે કે પડયા છો, આપ મારા પ્યારમાં.
–જલન માતરી
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આજનો મોરલાનો ટહુકો......
Sunday, February 7, 2016
આઠે પ્રહર ગરીબો ઉપર બેશુમાર કેમ?
આઠે પ્રહર ગરીબો ઉપર બેશુમાર કેમ?
પડતી રહે છે આફતો પરવરદીગાર કેમ?
ઈમાન વેચનાર છે, આરામથી ખૂદ,
ખાતો રહે છે ,ઠોકરો ઇમાનદાર કેમ?
નિર્દોષ ભોગવે સજા ,દોષિત મજા કરે છે,
તુજ મે'રબાની ના ખુદા આવા પ્રકાર કેમ?
ઇમાનદારી છોડવાનો છે સમય હવે,
આવે છે રાત-દી મને આવા વિચારો કેમ?
અડ્ડો જમાવી બેઠી છે વષાઁ થી પાનખર,
ભૂલી ગઇ છે બાગને મારા બહાર કેમ?
લેવા જવાબ ઓ 'જલન' પોતે જવુ પડે,
પાછા ફર્યા નથી હજુ ઉપર જનાર કેમ
- જલન માતરી
Monday, December 21, 2015
દવા માટે કોઈ વલખે છે તો કોઈ દુઆ માટે
દવા માટે કોઈ વલખે છે તો કોઈ દુઆ માટે,
કરે છે ધમપછાડા લોક જીવન જીવવા માટે.
વખત પર ના ફળી જ્યારે દુઆ તો ભેદ સમજાયો,
કે બાજુમાંથી ઊઠ્યા’તા ઘણા હાથો દુઆ માટે.
છતાં અફસોસ કે જઈ માનવી ફેંકાય દોઝખમાં,
નહીંતર સ્વર્ગ ક્યાં સર્જ્યું છે તેં તારા ભલા માટે?
છે એનો સ્પષ્ટ મતલબ કે ખુદા ખુદ મૂડીવાદી છે,
મુકદ્દ્રર એકસરખા હોત ના નહીંતર બધા માટે?
બધા ઝગડાની જડ પણ તું જ, જિમ્મેદાર તું ઈશ્વર,
તું ધારત તો ન હોતે ધર્મ અહીં એક જ બધા માટે?
કોઈનો એબ જોવા વેડફો ના તેજ આંખોનું,
કે એણે આંખ આપી છે તો સારું દેખવા માટે.
હકૂમતના જ હાથોમાં જો હોતે જળ, હવા, ઓજસ,
‘જલન’ તકલીફ પડતે ખૂબ જીવન જીવવા માટે.
-જલન માતરી
Thursday, December 10, 2015
જીવનના નામની સાથે કઝાનું નામ આવે છ..
જીવનના નામની સાથે કઝાનું નામ આવે છે
જહાંના નામની સાથે ફનાનું નામ આવે છે
હું ચિતાને દરદ માની સુરા પી જાઉં છું કારણ
કિતાબોમાં દવા સાથે સુરાનું નામ આવે છે
અહમ કરનાર વ્યક્તિઓની જો નામાવલી કરીએ
તો સૌથી મોખરે એમાં ખુદાનું નામ આવે છે
પ્રવેશીશું કઈ રીતે જલન દોઝખના કમરમાં
ગુન્હેગારો તરીકે અહીં બધાનું નામ આવે છે.
-જલન માતરી
Sunday, December 6, 2015
કુદરત
તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી;
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી;
શ્રદ્ધાનો જો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી;
ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી;
મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.
જલન માતરી
Monday, November 2, 2015
તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી.
ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.
મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.
- જલન માતરી