ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Sunday, February 28, 2016

મેં એને જોયો છે !- ડૉ.આઇ.કે.વીજળીવાળા

પરદેશમાં એક ગામથી થોડે દૂર આવેલા ફાર્મહાઉસમાં એક નાસ્તિક કુટુંબ રહેતું હતું. પતિ-પત્ની અને એમની પાંચ વરસની દીકરી, એમ ત્રણ જ જણ એ કુટુંબમાં હતાં. માતાપિતા સંપૂર્ણપણે નાસ્તિક હોવાને લીધે ઘરમાં ઈશ્વરની વાત પણ ક્યારેય થતી નહીં. ભગવાન, શ્રદ્ધા કે આસ્થા જેવા શબ્દો પણ દીકરીના કાથે ક્યારેય પડ્યા નહોતા. દીકરીને હજુ નિશાળે કે બાલમંદિરે નહોતી બેસાડી એટલે બીજાં બાળકો કે અન્ય મોટા લોકો પાસેથી પણ એને ઈશ્વર અંગે કાંઈ સાંભળવા નહોતું મળ્યું. અરે ! એવું કાંઈ હોય એવો પણ એને ખ્યાલ નહોતો.

એક રાત્રે પેલાં પતિ-પત્ની વચ્ચે ખૂબ જ ઝઘડો થયો. નાનકડી વાતમાંથી શરૂ થયેલા એ ઝઘડાએ જોતજોતામાં વરવું સ્વરૂપ લઈ લીધું. અત્યંત ક્રોધે ભરાયેલા પતિએ પોતાની જ પત્નીની છાતીમાં બંદૂકની બે-ચાર ગોળીઓ ધરબી દીધી. પછી પોતે પણ પોતાના માથામાં ગોળી મારીને મરી ગયો. એ લોકો ગામથી દૂર રહેતા હતા એટલે લોકોને આ ઘટનાની છેક સવારે ખબર પડી. ગામના બધાએ ભેગા થઈને નિર્ણય કર્યો અને પેલી બાળકીને ગામના ચર્ચને સોંપી દેવામાં આવી. બાળકીનો માસૂમ ચહેરો જોઈને ફાધર એકદમ દુઃખી થઈ ગયા. આકાશ સામે જોઈને એ મનોમન બોલી ઊઠ્યા કે, ‘હે ભગવાન ! હે પ્રભુ ઈસુ ! આવો તો તારો કેવો ન્યાય ? આટલાં નાનાં બાળકોથી તું આટલો બધો ખફા હો એ હું માની જ નથી શકતો. તારી છત્રછાયાથી તેમ જ તારી કૃપાથી આવાં ફૂલો શું કામ વંચિત રહી જતાં હશે ?’

એ જ સમયે ચર્ચમાં અન્ય નાનકડાં બાળકો આવ્યાં. એ બધાંએ ફાધરનું અભિવાદન કર્યું. ફાધરે એ બાળકોને પેલી નાનકડી બાળકી સાથે ઊભા રાખી દીધાં. પછી એ બધાંની બાજુની દીવાલ પર દોરેલો ભગવાન ઈસુ ખ્રિસ્તનો ફોટો બતાવીને પૂછ્યું : ‘ચાલો બાળકો, કહો જોઉં ! આ કોણ છે એ કોઈ જાણે છે ?’
‘હા, હું જાણું છું !’ બીજું કોઈ જવાબ આપે એ પહેલા જ પેલી બાળકી બોલી ઊઠી.
ફાધરને નવાઈ લાગી. એક નાસ્તિક કુટુંબમાં જન્મેલી અને ગામલોકોથી દૂર ફાર્મહાઉસમાં મોટી થયેલી એ છોકરી, પ્રભુ ઈસુ વિશે કઈ રીતે જાણતી હોઈ શકે ? એ ખરેખર જાણતી હશે કે એમ જ કોઈ ભળતી વ્યક્તિનો વિચાર કરીને જવાબ આપ્યો હશે ? પોતાના મનની શંકા દૂર કરવા એમણે એ બાળકીને જ પૂછ્યું :
‘એમ ! તું ખરેખર જાણે છે એને ? તો ચાલ, જોઉં બેટા ! એ કોણ છે અને તું એને કઈ રીતે જાણે છે ?’
‘મારા પિતાએ મારી માને અને પોતાને ગોળી મારી ત્યારે આ માણસ મારી બાજુમાં આવીને ઊભો રહી ગયો હતો અને આખી રાત એ મારી જોડે જ મારો હાથ પકડીને બેઠો હતો !’ બાળકીએ જવાબ આપ્યો.

ફાધરની આંખમાં આંસુ આવી ગયાં. કદાચ એ સમયે પેલી છોકરી જેવા નાનકડાં ફૂલો નહીં, પરંતુ પોતે હજુ પ્રભુની છત્રછાયા અને કૃપાથી વંચિત રહી ગયા છે એવું એમને જરૂર લાગ્યું હશે !
-ડૉ.આઇ.કે.વીજળીવાળા
(સાભાર-રીડગુજરાતી)

No comments:

Post a Comment