ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Tuesday, March 21, 2017

"મૃત્યુ" પર ચિનુ મોદીના શેર....


તું નિમંત્રણની જુએ છે વાર ક્યાં ?
તું મરણ છે, હાથમાં તલવાર લે.

ગમે તે ક્ષણે આવતું આ મરણ,
મને સરખેસરખું એ સજવા ન દે.

અંતે નક્કી મોત જ છે,
એ મારગ પર ચાલું હું ?

ભીંત વચ્ચેથી સોંસરું પડશે –
મોતનું સ્હેજ પણ વજન ક્યાં છે ?

મોતને ‘ઈર્શાદ’ ક્યાં પુછાય છે ?
આંતરેલા જીવની આપો વિગત !

મોતની સમજણ ન આવી કામ કૈં,
જ્યાં નિકટ આવ્યું કે થરથરતો રહ્યો.

સ્વર્ગની લાલચ ન આપો, શેખજી !
મોતનો પણ એક મોભો હોય છે.

કોણ, ક્યારે, કેમ આવે જાય છે !
જિંદગી કે મોત ક્યાં સમજાય છે !

શ્વાસ છોડ્યો તો સમય છૂટી ગયો,
તાંતણો કેવો હતો ? તૂટી ગયો.

જીરવી લેવું પડે છે શ્વાસનું ખૂટલપણું
કોણ નક્કી મોતની ફરિયાદ દર જન્મે કરે ?

મોત પણ મારી નથી શક્તું હવે ‘ઈર્શાદ’ને,
એ જીવી શક્તો હવે સંભારણાના નામ પર.

શ્વાસ સાથેની રમતમાં હે મરણ,
સ્હેજ ધીમું ચાલજે, માદરબખત.

દેહ છોડી જીવ મારો ક્યાં જશે ? કોને ખબર ?!
એક પરપોટો પુનઃ પાણી થશે ? કોને ખબર ?!

જીવ પર ભીંસ વધતી ગઈ દેહની –
શ્વાસની આ રમત હોય તો હોય પણ.

જણસ જેમ હું જાળવું દેહ વચ્ચે
અને જીવનું ક્યાંક બીજે વતન છે.

-ચિનુ મોદી ‘ઈર્શાદ’
(સ્ત્રોત : લયસ્તરો.કોમ)

No comments:

Post a Comment